‘મોતીચારો’ શ્રેણીનું આ આઠમું પુસ્તક વાચકોના હાથમાં મૂકતાં મને અવર્ણનીય આનંદ થઈ રહ્યો છે. ઈન્ટરનેટનાં ઓવારેથી મળેલ મોતીઓને વાચકોએ ખૂબ ભાવથી અને પ્રેમથી આવકાર્યા છે. આજે ફરીથી એ જ પનઘટ પરથી એકાદ ખોબો ભરીને અહીં મૂકું છું. આમાંની ઘણી વાતો અગાઉ વાંચવામાં આવી હશે. પરંતુ આગળ દરેક વખતે લખ્યું એમ, ગમતી વસ્તુ ફરી એકવાર વાંચવામાં કંટાળો નહીં જ આવે. ભગવદ્ગોમંડળમાં કલરવ શબ્દના જેટલાં અર્થ આપ્યા છે એમાંનો એક અર્થ છે ‘મધુર અસ્પષ્ટ અવાજ’. બસ, આજ છે જિંદગીના દરેક પ્રસંગમાંથી ઊઠતો નાદ. ક્યારેક એમાં કોયલનો કેકારવ હોય તો ક્યારેક મોરનો ટહુકો, ક્યારેક કાગડાના અવાજની કર્કશતા સંભળાય તો વળી ક્યારેક બૂલબૂલના મધુર ગીતો. એને સાંભળતાં, માણતા, એના સાક્ષી બનતાં, એની સાથે જોડાતાં કે ક્યારેક એનો જ ભાગ બનતાં જિંદગીની કેડી પર આપણે આગળ વધતાં હોઈએ છીએ. એવા જ કેટલાક પ્રસંગોનું અહીં નિરૂપણ કર્યું છે. હું માનું છે કે આમાંના ઘણાં અવાજો આપણે જરૂર સાંભળ્યા હશે તો પણ એ આપણા મન અને મગજને આનંદ અને શાતા આપશે. મોટા ભાગના પ્રસંગો અનનોન ઓથર્સ – અજ્ઞાત લેખકોએ લખેલા જ લીધા છે. પણ કોઈકે તો એ લખ્યા જ હશેને? એ દરેક નામી-અનામી કર્તાઓનો અહીં આભાર માનું છું.